ઘોરાડ પક્ષીને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો MOEFએ વિચિત્ર જવાબ આપ્યો ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીને બચાવવામાં વનવિભાગ સદંતર નિષ્ફ્ળ ગયું છે,અને તેનો જવાબ પણ ખુદ વનતંત્રએ જ સોમવારે આપ્યો હતો કે નલિયા સ્થિત ઘોરાડ અભ્યારણ્યમાં ૧ જાન્યુઆરીની સ્થિતિએ એક પણ પક્ષી નથી. રાજ્યસભા સાંસદે પ્રશ્ન પૂછ્યો હતો રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વન અને પર્યાવરણ મંત્રાલયને ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે,કચ્છ ઘોરાડ અભયારણ્યમાં ૧ જાન્યુઆરીની સ્થિતે કેટલા ઘોરાડ છે?, પવનચક્કી અને વીજલાઇનથી ઘોરાડ મૃત્યુ પામે છે તે બાબત સત્ય છે? અને જો આ હકીકત છે તો સરકારે આ બાબતે શું પગલાં લીધા છે. સરકારે લેખિતમાં કહ્યું, ‘એક પણ ઘોરાડ નથી’ આ મુદ્દે પર્યાવરણ,વન અને ચેન્જના મિનિસ્ટર ઓફ સ્ટેટ અશ્વિની કુમાર ચોબેએ ઉત્તર આપતા લેખિતમાં જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં ૧ જાન્યુઆરી ૨૦૨૧ની સ્થિતિએ એક પણ ઘોરાડ નથી.જેથી બાકીના બે પ્રશ્નો આપમેળે અનુત્તર થઇ ગયા હતા.નોંધનીય બાબત છે કે,ઘોરાડ અભયારણ્ય ની સ્થાપના 1992માં થઇ હતી.જખૌ અને બુડિયા ના વિસ્તારને આવરતા 2 કિલોમીટરના વિસ્તાર માત્રમાં તે સીમિત છે.નલિયાથી 15 કી.મી અને ભુજથી 110 કી.મી દુર આવેલ આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ઘોરાડ અહિયાં જ જોવા મળે છે. કચ્છમાં ઘોરાડ અને ખડમોર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રિડિંગ સેન્ટર હજુ હવામાં જ રહ્યું ડિસેમ્બર ૨૦૧૯માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડની 18મી બેઠકમાં રાજ્યમાં માત્ર કચ્છમાં જોવા મળતી અલભ્ય પક્ષીની પ્રજાતિ ઘોરાડ અને ખડમોર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ બ્રીડીંગ સેન્ટર પી.પી.પી ધોરણે ઉભું કરવા ડી.પી.આર,સ્થળ નિયત અને સર્વે ત્વરાએ હાથ ધરવા વનવિભાગને સૂચન કર્યું હતું.આ સાથે ખાસ કરીને કચ્છમાં ઘોરાડ પક્ષીને હાઈટેંશન વીજવાયરોથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવા હેતુસર વીજલાઇન અંડરગ્રાઉન્ડની સંભાવના ચકાસવા પણ જણાવ્યું હતું.આ મુદ્દો હજુ સુધી હવામાં જ રહી ગયો છે મારા પ્રશ્નનો સદંતર જુદો જવાબ આપ્યો: શક્તિસિંહ ભાસ્કરે વન અને પર્યાવરણ મંત્રાલયએ આપેલા જવાબ મુદ્દે શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે,આ જવાબ હકીકતથી જુદો આપ્યો છે,હું આ મુદ્દે ફરીથી અલગ પ્રશ્ન પૂછીશ. ઘોરાડ વૈશ્વિક દ્રષ્ટિએ દુર્લભ પક્ષી છે અને ક્ચ્છ માટે ગૌરવનો વિષય છે.હાલ જયારે તેઓ દુનિયામાંથી અદ્રશ્ય થઇ રહ્યા છે અને તેનું સંરક્ષણ થવું જોઈએ,નહીંતર ધીમેધીમે ઘોરાડનો નાશ થઇ જશે. અભયારણ્યમાં એક પણ ઘોરાડ નથી: ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ગુજરાત રાજ્ય વનવિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદરે ભાસ્કરથી વાત કરતા કહ્યું કે,પ્રશ્નનો જવાબ સાચો જ છે કે અભ્યારણ્યમાં એક પણ ઘોરાડ નથી. ભાસ્કરે પૂછ્યું કે કચ્છમાં અભયારણ્ય બહાર કેટલા છે? આ મુદ્દે ખુદ જવાબદાર અધિકારીએ કહ્યું કે ‘મને ખબર નથી’ IUCN બસ્ટર્ડ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના સદસ્યએ 9 જુલાઈના જ ઘોરાડ જોયું! પાવરલાઈન અન્ડરગ્રાઉન્ડિંગ મુદ્દે સુપ્રીમ કોર્ટ રચેલી કમિટી અને IUCN બસ્ટર્ડ સ્પેશિયાલિસ્ટ ગ્રુપના મેમ્બર ડો.દેવેશ ગઢવી ભાસ્કરથી વાત કરતા જણાવ્યું હતું કે,ગત ૯ જુલાઈના એકથી વધારે ઘોરાડ તેમને અભ્યારણ્ય નજીક જોયા છે.સાથે એ પણ પ્રશ્ન કર્યો હતો કે,૨૦૦૭માં ૪૮ ઘોરાડ હતા જે ઘટીને ૨૦૧૬માં ૨૫ થયા અને છેલ્લા એક દાયકાથી સરકારને વારંવાર અરજી કરવાથી કઈ પરિણામ મળ્યું નથી જેના કારણે સિંગલ ડિજીટમાં ઘોરાડ આવી ગયા છે. અન્ય સમાચારો પણ છે...