Share દેશના ઉત્તરી રાજ્યોમાં ચોમાસું ભરપૂર જામી રહ્યું છે ત્યાં પહાડી રાજ્યોમાં તોફાની તાંડવ શરૃ કર્યું છે. તોફાની વરસાદ વરસવાની સાથે સાથે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત વધી રહી છે. મંગળવારે રાતથી બુધવાર સાંજ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ અને અમરનાથ ગુફા પાસે તથા હિમાચલમાં કિન્નૌર પાસે આભ ફાટવાના કારણે 17 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત ૨૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે જ્યારે ૫૦થી વધારે લોકો લાપતા છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને સેનાના જવાનો દ્વારા બચાવ અને રાહત કાર્યો શરૃ કરવામાં આવેલા છે. ઈજાગ્રસ્તોને એરફોર્સની મદદથી એરલિફ્ટ કરીને સલામત સ્થળે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિમાચલમાં પણ સ્થિતિ ખરાબ છે અને નદીનાળા છલકાઈ રહ્યા છે. પહાડી રાજ્યોની નદીઓ, ધોધ અને ઝરણાની સપાટી ભયજનક સ્તરે વધી રહી હોવાથી કાંઠાના વિસ્તારોને સાવચેતી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ લાહૌલ સ્થિતિમાં મંગળવારે રાત્રે એક નાળામાં પૂર આવતાં આસપાસના મકાનો તણાઈ ગયા હતા. તેમાં ઘણા લોકો તણાયા હોવાની શંકા છે. આઈટબીપી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૬ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધ ચાલી રહી છે. બુધવારે સાંજે અમરનાથ ગુફા પાસે જ આભ ફાટવાના કારણે ભીષણ પૂર આવ્યું હતું. તેના કારણે ખૂબ જ નુકસાન થયું છે. આ ઉપરાંત બીસએએફ અને સીઆરપીએફના તથા જમ્મુ-કાશ્મીર પોલીસના કેમ્પ તણાઈ ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક મકાનો અને ઈમારતોને પણ નુકસાન થયું છે. કિશ્તવાડમાં સેના દ્વારા બચાવ કાર્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાદળ ફાટવાના કારણે કિશ્તવાડમાં ઘણા મકાનો તણાઈ ગયા હતા જ્યારે ઘણાને વ્યાપક નુકસાન થયું છે. હાલમાં સેનાની મદદથી બચાવ અને રાહત કાર્યને ઝડપી બનાવવામાં આવ્યું છે. એસડીઆરએફની ટુકડીઓ પણ તહેનાત કરી દેવાઈ છે. કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પણ રાજ્યના વિવિધ અધિકારીઓ સાથે સ્થિતિનો તાગ મેળવવા વાતચીત કરવામાં આવી હતી. તોજિંગ નાળા અને બ્રહ્મગંગા નદીમાં ભારે પૂર હિમાચલના લાહૌલ સ્થિતિમાં તોજિંગ નાળા અને કુલ્લીના મણિકર્ણમાં આવેલી બ્રહ્મગંગા નદીમાં વરસાદના કારણે ભીષણ પૂર આવ્યું છે. આ સિવાય પણ ઘાટીના ઘણા નાળા અને નદીઓમાં પૂરના પાણી ધસમસતા વેગે વહી રહ્યા છે. હાલમાં મનાલી-લેહ હાઈવે તથા લાહૌલ સ્થિતિનો પ્રવાસ ન કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. તે ઉપરાંત આઈટીબીપી દ્વારા ઘણા સ્થળોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે. આગામી બાર કલાકમાં ભારે વરસાદ થવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૩૦ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં હજી પણ તોફાની વરસાદને પગલે પૂરની સ્થિતિ જળવાયેલી છે. રાયગઢ, રત્નાગિરિ, કોલાપુર અને સતારામાં વરસાદ પડી રહ્યો છે. ૩૦ જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં તોફાની વરસાદ પડવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. હિમાચલના અનેક વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ હિમાચલના અનેક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં લેન્ડ સ્લાઈડ થવાના કારણે ઘણા રસ્તા બંધ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે. એસડીઆરએફ દ્વારા રસ્તા સાફ કરવાની કામગીરી વ્યાપક વેગે ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 186640 Views 48092 Views 34588 Views 29112 Views