808 Share અધ્યાપનના તીરેથી :- પ્રા. મહેન્દ્ર જે. પરમાર દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈની ભૂમિકા ઐતિહાસિક તવારીખમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. પાકિસ્તાન તરફ ઝડપથી સરકી રહેલા હૈદરાબાદ અને જૂનાગઢને અગમચેતી વાપરી ત્વરિત લશ્કરી પગલાં દ્વારા ભારતસંઘમાં ભેળવી દેવાની ઘટના પણ સીમાચિહ્નરૂપ છે. ત્રીજું મહત્ત્વનું કાર્ય અખિલ ભારતીય સનદી સેવા (ઇન્ડિયન એડમિનિસ્ટે્રટિવ સર્વિસ ‘IAS’ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ’IPS’નું ગઠન છે. બ્રિટિશ શાસન વ્યવસ્થામાં ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ ICS તરીકે મોટાભાગના અંગ્રેજ અફસરો હતા. તેમણે એક માત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદના પાયા મજબૂત કરવાનું જ કામ કર્યું. ઈ. સ. ૧૯૪૨માં રચાયેલી વચગાળાની ભારત સરકાર દરમિયાન અંગ્રેજોએ તેને Windup યાને સમેટી લેવાનો નિર્ણય લીધો. તેના ભાગરૂપે મોટાભાગના ઓફિસરોએ ઇંગ્લેન્ડ અને બાકીનાને પાકિસ્તાન જવાનો વિકલ્પ આપેલો. આ સંજોગોમાં ભારતીય સનદી વહીવટી સેવાઓમાં શૂન્યાવકાશ સર્જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. સરદાર પટેલ પરિસ્થિતિ તરત જ પામી ગયા. દૂરંદેશી વાપરીને ભારતીય તત્ત્વ (Indian Character) સાથેની ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ‘IAS’ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ ‘IPS’ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસનું ગઠન કરવાનો નિર્ણય લીધો. સ્વતંત્ર ભારતના પ્રથમ મંગલાચરણમાં સ્વચ્છ ઝડપી લોકાભિમુખ વહીવટની દિશામાં સરદાર સાહેબનું આ ખૂબ મહત્ત્વનું કદમ હતું. ઓલ ઇન્ડિયા સવર્સિના ગઠનના પગલે રાજ્યોની સ્વાયત્તતા અને સ્વતંત્રતા સામે સવાલો ઊભા થતાં જ સરદારે દેશના તમામ પ્રાંતિક રાજ્યોના મુખ્યમંત્રીઓ (તે વખતે વડા પ્રધાન કહેવાતા)ની તત્કાલ બેઠક બોલાવી. દેશની એકતા, અખંડિતતા, દેશી રાજ્યોના વિલીનીકરણ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો. સંબંધિત પ્રાંતોના ચીફ મિનિસ્ટર એટલે કે રાજ્યના પરામર્શમાં (Concurrence) રહીને નિમણૂકો કરવી, રાજ્યમાંથી કેન્દ્રમાં ડેપ્યુટિશન પર ફાળવવા, આ ઉમદા આચાર સહિતાના પાયા પર ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ ઘડવામાં આવ્યો. તે અંતર્ગત રૂલ્સ બનાવવામાં આવ્યા. ૧૯૫૧થી તેનો અમલ છે. આ કાયદા અનુસાર સંબંધિત રાજ્યોના પરામર્શ અને સંમતિ વિના કોઈપણ IAS-IPS અધિકારીને ભારત સરકારની સેવામાં તબદીલ કરી શકાશે નહીં. રાજ્ય અને કેન્દ્ર વચ્ચે અસંમતિ થાય ત્યારે કેન્દ્રનો નિર્ણય આખરી ગણાય. તાજેતરમાં બંગાળના ચીફ સેક્રેટરી (હવે નિવૃત્ત) અપ્પલ બંદોપાધ્યાયને કેન્દ્રના હવાલે મૂકવાનો વિવાદે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોની કડવાશ છતી કરી છે. જે આપણા સમવાયી તંત્ર માટે સારા સંકેતો નથી આપતી. એપ્રિલ ૧૯૪૭માં IASની પ્રથમ બેંચને સંબોધન કરતાં સરદાર સાહેબે જણાવ્યું હતું : કોઈપણ પ્રકારના ભય કે પક્ષપાત વગર (Without fear and favour) દેશની સેવા કરો ! આ આખી વિભાવનાનો છેદ જ ઊડી ગયો હોય તેવી પરિસ્થિતિ છે. બંધારણના આર્ટિકલ ૩૦૯થી ૩૧૧માં સેવાના અધિકારીઓને કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર દૂર ન કરી શકાય તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની મક્કમતા અને દૃઢતાના કારણે સેવાના અધિકારીઓને સુરક્ષા કવચ પ્રાપ્ત થયું હતું. જેથી તેઓ દૃઢતાથી, ભય કે ડર રાખ્યા વગર સ્વતંત્ર નિર્ણયો લઈ શકે. IAS-IPS અધિકારીઓ ભય, પક્ષપાત અને તટસ્થાપૂર્વક રાષ્ટ્ર અને પ્રજાહિતમાં કામગીરી કરે તે સમયની માંગ છે. રાષ્ટ્રની પ્રગતિ, આબાદી, સમૃદ્ધિ અને કલ્યાણ માટેના તેઓ મહત્ત્વના પિલર છે. લોકશાહી વ્યવસ્થા હેઠળ દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાતી હોય છે. સત્તા પરિવર્તનો થતાં રહે છે. પરંતુ રાષ્ટ્રના વહીવટની આ મહત્ત્વની કેડર સ્થાયી જ રહે છે. રાજ્ય અને દેશના વહીવટ પર રાજકારણ હાવી થાય ત્યારે સ્વચ્છ પારદર્શક વહીવટ પર તેની ગંભીર અસરો પડે છે. પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ, સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓનું મોરલ તૂટે છે. પોસ્ટિંગ અને બદલીઓમાં વધી રહેલા રાજકીય હસ્તક્ષેપના કારણે આખી કેડર પ્રભાવહીન થતી હોય છે. પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપવાની જોગવાઈથી માતૃભાષા ગુજરાતીમાં UPSC અને GPSC પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં IAS અને IPS બનવા અંગે લોકજાગૃતિ આવી છે. યુવાન-યુવતીઓ માટે તે એક સ્વપ્ન બન્યું છે. રાજ્યના આર્થિક રીતે સમૃદ્ધવર્ગોએ પણ પોતાના સંતાનો માટે વર્ગો શરૂ કર્યા છે. નબળાવર્ગો પણ સક્રિય થયા છે. IAS-IPS પરીક્ષાઓ માટેનું સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ થયું છે. રાજ્યમાં ઠેર ઠેર કોચિંગવર્ગો ચાલે છે. પાટનગર ‘ગાંધીનગર’ અને ‘અમદાવાદ’ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના હબ બન્યા છે. દરેક જ્ઞા।તિ-સમાજમાં પોતાના વધુમાં વધુ યુવાન-યુવતીઓ IAS બને તે માટે હોડ મચી છે. આ એક તંદુરસ્ત નિશાની અને શુભ સંકેત પણ છે. ભારતીય સનદી સેવા (UPSC)પરીક્ષા એક પ્રકારની કઠોર સાધના જ છે. સખત મહેનત, ઊંડો અભ્યાસ, અધ્યયન, અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખવી પડે. મજબૂત મનોબળ, મક્કમ ઇરાદો, ધગશ, તાલાવેલી અને તરવરાટ સફળતાના દ્વાર ખોલી આપે છે. ગરીબ પણ મેઘાવી પ્રતિભા ઘરાવતા અનેક યુવાન-યુવતીઓ સ્વબળે કઠોર પરિશ્રમ કરીને જ્વલંત સફળતા મેળવ્યાના અનેક દાખલાઓ વિદ્યમાન છે. પ્રિલિમિનરી પરીક્ષા, લેખિત પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ભાગ પ્રિલિમિનરીમાં બે પ્રશ્નપત્રના પ્રથમ પ્રશ્નપત્રના ૨૦૦ ગુણની પરીક્ષા ખૂબ ટફ હોય છે. ખૂબ ઊંચા ગુણાંકન સાથે પાસ કરવી ખૂબ જરૂરી છે. બીજું પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું છે. તેમાં માત્ર ૬૬ ગુણ જ લાવવાના હોય છે. જે ઉમેદવારો ખૂબ સરળતાથી પાસ કરી દેતા હોય છે. પણ મેરિટમાં આવવાની ખૂબ તીવ્ર સ્પર્ધા હોવાથી પાસ છતાં વંચિત રહેવા પામે છે. IAS (ઓલ ઇન્ડિયા સર્વિસ), IPS (ઇન્ડિયા પોલીસ સર્વિસ), IFS (ઇન્ડિયન ફોરેન સર્વિસ), IRS (ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ) આ મહત્ત્વની ચાર કેડર છે. આ સિવાય પણ ૧૫ જેટલી અન્ય મહત્ત્વની કેડર છે. IAS માટે મસૂરી (ઉત્તરાખંડ), IPS માટે હૈદરાબાદ (તેલંગણાપ્રદેશ), IFS માટે દિલ્હી અને IRS માટે નાગપુર (મહારાષ્ટ્ર) તાલીમ કેન્દ્રો છે. ઉમેદવારે પ્રાપ્ત કરેલ ઊંચી રેન્ક અને પોતે આપેલ વિકલ્પના આધારે અંતિમ એક કેડર પર પસંદગીનો કળશ ઢોળાય છે. પસંદગી પામેલ ઓફિસરો માટે કોમન ત્રણ મહિનાની તાલીમ લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરી ખાતે આપવામાં આવે છે. બાકીની તાલીમ અલગ અલગ કેન્દ્રો ખાતે અપાય છે. ૨ વર્ષની ટ્રેનિંગમાંથી નવનિયુક્ત ઓફિસરે પસાર થવાનું હોય છે. ત્યારબાદ કાયમી પોસ્ટિંગ મળે છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ (SPIPA) સંસ્થા અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં ઇસરો સામે આવેલી છે. UPSC દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટ્રેનિંગ આપે છે. પ્રવેશ પરીક્ષામાં ઉર્ત્તીણ થનાર ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રવેશ આપી ૧૪,૦૦૦ જેટલું કુલ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ગુરુમંત્ર : વિદ્યાની ઉપાસના તપ, ત્યાગ તથા નિષ્ઠાનું ક્ષેત્ર છે. આ ત્રણમાંથી એકના પણ અભાવથી કદાચ વિદ્યા તો પ્રાપ્ત થાય, પણ સુગંધ વિનાના ફૂલ જેવી, માત્ર દેખાવની જ હશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 51512 Views 39868 Views 32604 Views 20028 Views